ભારતીય જનતા પાર્ટીની મુર્ખામી - કોંગ્રેસનું છળકપટ - પ્રજાની અગ્નિ પરીક્ષા
તારીખ ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બર - ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ની તારીખ જાહેર થઇ ગઈ છે. હવે મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબર જંગ જામશે એ વાત નક્કી. બંને મુખ્ય પક્ષો માટે ગુજરાત ઇલેકશન લિટ્મસ ટેસ્ટ સમાન રહેવાની છે. બંને પક્ષનું ભવિષ્ય ગુજરાત ઇલેકશન પછી નક્કી થશે.
ભાજપ માટે ૨૦૧૯ - લોકસભા પહેલા ની સૌથી મહત્વ ની ચૂંટણી આ થવાની છે. જો ભાજપ ગુજરાત જીતશે તો ૨૦૧૯ ખુબ જ સરળ બની રહેવાની શક્યતા છે.
કોંગ્રેસ માટે તો આ ઇલેકશન જીવન-મરણ નો સવાલ છે. રાહુલ ગાંધી માટે પણ આ આખરી અને આકરો મુકાબલો છે. જો કોંગ્રેસ ગુજરાત જીતશે તો ૨૦૧૯ માં જોરદાર ટક્કર આપવા તૈયાર થઇ શકે છે ઉપરાંત ભાજપ માટે કદાચ વળતા પાણી પણ પુરવાર થશે.
ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી (અરવિંદ કેજરીવાલ) અને ચોથો પક્ષ જન-વિકલ્પ(શંકરસિંહ વાઘેલા) આ બંને મોટા પક્ષોના મત તોડવા સિવાય કઈ વિશેષ કરી શકે તેમ નથી.
ભારતીય જનતા પાર્ટીની મૂર્ખાઈ 
ભારતીય જનતા પાર્ટી - બે મુર્ખામી કરી છે.
૧) છેક ચૂંટણીની તારીખ ડિક્લેર થવાની છેલ્લી તારીખ સુધી અનેક જાતની રાહતની જાહેરાતો કર્યા જ કરી છે. ક્યાં તો રાજ્ય સરકાર દ્વારા ક્યાં તો કેન્દ્ર સરકાર દ્વારા. કેન્દ્ર સરકારે તો બેવકૂફીની હદ્દ પાર કરી છે. ખાસ કરીને જીએસટી ના મામલામાં - ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે અને નોટબંદી બાદ જીએસટી ની સૌથી વ્યાપક અસર ગુજરાતમાં જ થઇ છે, ગુજરાતનું અર્થતંત્ર જે ૩ મોટા બિઝનેસ પર નિર્ભર છે તે રીયલ એસ્ટેટ. ડાયમંડ અને ટેક્સટાઇલ છે અને આ ત્રણેય ધંધામાં નાના પાયે ધંધો કરતા વેપારીની સંખ્યા પ્રમાણમાં ખુબ જ મોટી છે. જયારે આ વેપારીઓ ને સમસ્યા થાય છે તે સરવાળે પ્રજાને સમસ્યા થવા સમાન બની રહે છે કારણકે અસર નોકરી કરતા કર્મચારીના ઘર સુધી પહોંચે છે એ પછી હકારાત્મક હોય કે નકારાત્મક. નાણાકીયમંત્રી અરુણ જેટલી એ અહં છોડીને પહેલા જ સમસ્યા નું સમાધાન કરવાની જરૂર હતી. એમણે રાહત જાહેર તો કરી પરંતુ ધીરે ધીરે અને થોડી થોડી. જયારે ઘા ઊંડો હોય ત્યારે મલમપટ્ટી કરવા જેવી વાત છે આ.
જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિમ્મત ને સલામ કરવા જેવી છે, એમણે ગુજરાત પર ૧૩ વરસ રાજ કર્યું છે અને ગુજરાત ના વેપાર-ઉદ્યોગ ના અણુ એ અણુ થી તેઓ વાકેફ છે. જો નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન છે તો એમાં ગુજરાતની વેપારી પ્રજા નો ફાળો ખુબ જ મોટો છે. મોદી સારી રીતે જાણે છે કે કયા પગલાં લેવાથી કોને અને કેટલી અસર થશે તેમ છતાંય એમણે આવા નોટબંદી અને જીએસટી જેવા પગલાં ગુજરાત ઇલેકશન પહેલા લીધા. એમનો હેતુ દેશમાંથી કાળા નાણાં ની નાબુદી તેમજ ધંધા ઊદ્યોગ નું સરળીકરણ કરીને, વધુ ને વધુ નોકરી-રોજગાર નું સર્જન કરવાનો જ છે. પરંતુ આ તાત્કાલિક ધોરણે થવાનું પણ નથી. આ પ્રજા એ સમજવાની જરૂર છે. નોટબંદી અને જીએસટી મામલે મોદી ને કોસતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રજાને છેતરી જ રહ્યા છે. કોંગ્રેસ પ્રજાની ટૂંક સમય ની તકલીફ ને વટાવવાની કોશિષ જ કરી રહી છે. નોટબંદી માટે કોંગ્રેસ હવે કઈ કરી શકે તેમ નથી અને જીએસટી મામલે પહેલા કોંગ્રેસ એ પણ ટેકો જ આપ્યો છે પરંતુ હવે જયારે જાણ્યું કે વેપારીઓને તકલીફ થઇ રહી છે તો લુચ્ચા શિયાળ ની જેમ નાટક કરી રહી છે. ગુજરાત માં જીતે તો પણ એમાં કઈ ખાસ ફેરફાર હવે કરી શકે એવી સ્તિથીમાં જ નથી. કારણકે હવે કેન્દ્ર માં ભાજપ ની સરકાર છે અને બીજું મૉટે ભાગ ના કોંગ્રેસ શાષિત રાજ્યમાં આ જ જીએસટી પોલિસી લાગુ છે તો સૌ પ્રથમ રાહુલ ગાંધી આ રાજ્યમાં પરિવર્તન કે ફેરફાર કેમ નથી કરાવતા?  એવો સવાલ કેમ કોઈ પૂછતું નથી.
૨) અનામત-આરક્ષણ -
ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકારે આ મુદ્દે જેટલી મુર્ખામી કરી છે તેટલી કદાચ બીજી કોઈ સરકારે નથી કરી. સૌ પ્રથમ આનંદીબહેન પટેલે શરૂઆત કરી. પાટીદાર અનામત આંદોલનની અસરનો અંદાજો જ ન લગાવી શક્યા. એમણે પહેલી ભૂલ જ જાતે ચુકાદો આપીને કરી હતી. માંગણી એ આંદોલનનું સ્વરૂપ પકડ્યું તેવું જ અનામત માટે જાહેરાત કરવાની જરૂર હતી, પછી સુપ્રીમ કોર્ટ તો રદ-બાદલ કરીજ નાંખતે તો કમસે કમ તેમના કે ભાજપને બદનામ થવાનો વારો જ નહિ આવતે. તેઓ સુપ્રીમ કોર્ટ ના નામે મામલો ખેંચી શકે તેમ હતા. અને સૌથી મોટી વાત તો એ હોત કે હાર્દિક પટેલ નું કદ આટલું મોટું થાત જ નહિ.
ત્યાર બાદ પણ સરકારે છેલ્લે સુધી સમાધાનના પ્રયત્ન જ કર્યા નહિ.
બાકી અનામત ના મામલે હમણાં હમણાં રૂપાણી સરકારે લીધેલા પગલાં યોગ્ય દિશાના તેમજ યોગ્ય પ્રમાણના જ છે. જેનો સ્વીકાર મૉટે ભાગ ના પાટીદાર આગેવાનો એ કર્યો જ છે પરંતુ જેમને સોનાની થાળીમાં પણ મેખ જોવાની આદત હોય કે જેમને મહેલમાં પણ દુઃખ જ શોધવું હોય તેમને માટે કશુ જ કહેવું વ્યર્થ છે

કોંગ્રેસ નું છળકપટ -
ગુજરાત ની સમગ્ર પ્રજાની સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસ છળકપટ કરી રહી છે. દરેક મામલે.

પહેલી વાત જીએસટી ની જ કરીએ તો - રાહુલ ગાંધી એ સંસદમાં જીએસટી બિલ પાસ કેમ કરાવ્યું? જો એમને લાગતું હતું કે બિલ યોગ્ય નથી અને પ્રજાને કે વેપારીને અન્યાય કરતા છે તો કોંગ્રેસ એ વિરોધ જ કરવો કરવો હતો અને બિલ ને પાસ જ નહિ કરાવ્યું હોત તો આજે દેશમાં જીએસટી લાગુ થાતે જ નહિ ને કોઈ ને પરેશાની પણ નહિ થઈ નહિ હોત. પરંતુ સત્ય તો એ છે કે બિલ પાસ કરાવતી વખતે રાહુલ ગાંધી કે કોંગ્રેસ ને પણ આટલા વિરોધનો અંદાજો ન હતો. જેવો વેપારીઓએ વિરોધ કર્યો તેવો જ કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી ને તેમાં 'તક' દેખાવા  માંડી અને તેઓ નફ્ફટ બનીને મોદીને બદનામ કરવા લાગ્યા છે.
જો રાહુલ ગાંધી ને જીએસટી થી આટલો જ પ્રોબ્લેમ હોય, જેટલો ગુજરાતમાં દેખાડે છે તો પહેલા હિમાચલ પ્રદેશ અને કર્ણાટક માં ફેરફાર કેમ નથી કરાવતા જ્યાં કોંગ્રેસ ની જ સરકાર છે?
બીજી વાત - અનામત - આરક્ષણ ની
અનામત - આરક્ષણ ના મામલે કોંગ્રેસ અત્યારે ફક્ત ગુજરાતની પ્રજા કે પાટીદારો ને છેતરી જ રહી છે. એટલું જ નહિ પરંતુ અનામત ને મામલે કોંગ્રેસ એ સમગ્ર દેશની પ્રજાને હંમેશા છેતરી જ છે.
સાચી હકીકત તો એ છે કે કોંગ્રેસ કોઈ કાળે કે કોઈ પણ સંજોગોમાં પાટીદારને અનામત આપી શકે એમ છે જ નહિ. ફક્ત પાટીદારોના ગુસ્સાને કે અસંતોષને વટાવી રાજ્યમાં સરકાર બનાવવી છે. જો એવું ના હોત તો આજ સુધી રાહુલ ગાંધી એ છાતી ઠોકી ને કીધું કેમ નથી કે અમે ગુજરાતમાં સરકાર બનાવશું તો તરત જ પાટીદારો ને ૫-૧૦-૧૫% અનામત આપી દઇશુ.

ત્રીજી વાત - ખેડૂતો - ગરીબો ના હામી કે મોટાભા થવાની
રાહુલ ગાંધી ગુજરાત ની પ્રજા ને જેટલી મૂરખ માને છે એટલી મૂરખ ગુજરાતની પ્રજા છે નહિ એ જેટલું વહેલું સમજી લે તેટલું સારું છે. દેશ માં આજ સુધી ગરીબી અને ખેડૂતો ની સમસ્યા ની જડમાં જ કોંગ્રેસ છે, એટલું તો હવે દેશનો સામાન્ય માણસ પણ સમજી ગયો છે. દેશ અને ગુજરાતમાં ફક્ત ૫ -૭ ઉદ્યોગપતિ ની જ સરકાર છે એવું જુઠાણું પણ હવે સૌ કોઈ સમજી ગયું છે. કારણકે આ શક્ય જ નથી એ પણ પ્રજા જાણે જ છે.

પ્રજાની અગ્નિ પરીક્ષા
આ ઇલેકશન/ચૂંટણી માં ગુજરાતની સમગ્ર પ્રજાની અગ્નિ પરીક્ષા થવાની છે. ગુજરાતની પ્રજા ની ઈમાનદારીની પણ કસોટી છે. આજ સુધી ગુજરાતની પ્રજા એ જે ગરિમા જાળવી રાખી છે એ આ ચૂંટણીમાં દાવ પર છે એ સમજી લેવાની જરૂર છે ગુજરાતની પ્રજા એ, ગુજરાતની પ્રજા એ આજ સુધી જે ખુમારી બતાવી છે એ ખુમારી પણ જોખમમાં જ છે. ગુજરાતની પ્રજા તકવાદી છે કે તકસાધુ તે પણ આ ઇલેકશન માં ખબર પડશે.
તકવાદી એટલે દરેક મુશ્કેલીમાં તક શોધી ને આગળ વધવું - જે આજ સુધી ગુજરાતની પ્રજા કુદરતી કે માનવીય આફત માં કરતી જ આવી છે, ગુજરાતની પ્રજા એ હંમેશા કપરામાં કપરી પરિસ્થિતિમાં તક ઝડપીને ઉભા થવાની ખુમારી બતાવી જ છે.
તકસાધુ એટલે પોતાને માટે, પોતાના ઘર માટે, પોતાના મહોલ્લા માટે, પોતાના ગામ માટે, પોતાના શહેર માટે કે પોતાના સમાજ માટે લાભ માટે કે ફાયદો મેળવવા માટે કઈ પણ કરવું પછી ભલે એમાં રાજ્ય કે દેશ ને નુકશાન થવાનું હોય તો થાય. આપણને કોઈ ફાયદો કરાવવાની લાલચ આપે તો બીજાનો વિચાર કરવાનો જ નહિ એવા લોકો તકસાધુ કહેવાય.
ગુજરાત ની સમગ્ર પ્રજા જેમાં પાટીદાર - જૈન - વૈષ્ણવ - ઠાકોર કે દલિત જ નહિ પરંતુ હિન્દૂ-મુસ્લિમ-પારસી જેવા સમાજોએ છેલ્લા કેટલાક વર્ષોથી ગજબની એકતા બતાવી છે. અમુક તત્વોને બાદ કરતા મોટા ભાગની પ્રજા એ સાથે મળીને કામ કરવાનું જ રાખ્યું છે જેની સીધી અસર સમગ્ર રાજ્ય અને દેશ માં સકારાત્મક જ રહી છે. પરંતુ આ ઇલેકશનમાં સૌહાર્દ તેમજ આ એકતા જ દાવ પર લાગી ગઈ છે. ગુજરાતની પ્રજા એ ક્ષણિક લાભ કરતા સમગ્ર રાજ્ય અને દેશના હિતનો જ વધુ ખ્યાલ રાખ્યો છે એમાં કોઈ શંકા કરી શકે એમ જ નથી.
આ ઇલેકશન માં આ જ મુદ્દો અને આ જ ખુમારી સાથે પ્રજાની કસોટી થવાની છે. અત્યારે તો એવું ચિત્ર મીડિયા દ્વારા ઉભું કરાઈ રહ્યું છે કે ગુજરાતની સમગ્ર પ્રજા તહેસ નહેસ થઈ રહી છે, બધી કોમો અંદરો અંદર લડી રહી છે. વેપારી - ઉદ્યોગપતિ - સામાન્ય નાગરિક સરકારથી સખ્ખત નારાજ છે અને પોતાના લાભ માટે કઈ પણ કરવા તૈયાર જ છે. આ ગુજરાતની પ્રજાનું સીધું અપમાન છે. જે પ્રજા કેટલાય વર્ષોથી હળી-મળી ને કામ કરી રહી છે એમને એક-બીજાના દુશ્મન તરીકે રજુ કરવામાં આવી રહી છે. એમાં માફ ના કરી શકાય એવા ભાગલા પડાવવાની કોશિષ થઈ રહી છે. આ જ ગુજરાતની પ્રજાની અગ્નિ પરીક્ષા છે સાહેબ. ગુજરાતની પ્રજા એક રહેશે કે તૂટી જશે આવી લાલચો સામે? ગુજરાતની પ્રજા ખુમારી જાળવશે, કે લાલચને વશ થશે? ખુદ્દારી બતાવશે કે લોભમાં પડશે?
રહી વાત નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા કેટલાક મહત્વના નિર્ણયોની જેની અસરો આપણને થઈ છે. અત્યારે આવા પગલાંઓથી હાડમારી વધુ થઈ છે ને ફાયદો ઓછો થયો છે. જેને કારણે સરકાર પ્રત્યે નારાજગી થાય એ સ્વાભાવિક છે. પરંતુ એક પ્રજા તરીકે આપણે પણ વિચારવું પડશે. કે...
નરેન્દ્ર મોદી એ ફક્ત પોતાને માટે કે પોતાના પક્ષના ફાયદા માટે આવા નિર્ણયો નથી લીધા. જો પોતાનું કે પોતાના પક્ષ ભારતીય જનતા પાર્ટી નો જ ફાયદો જોવો હોત તો તેઓ આવા કઠોર નિર્ણય લેતે જ નહિ.
પહેલું - નોટબંદી -
નોટબંદી એ કાળાનાણાં પર નો સીધો વજ્રઘાત હતો. નોટબંદીથી સામાન્ય પ્રજાને ઘણી તકલીફો થઈ છે એવું બતાવવામાં આવી રહ્યું છે. હા ચોક્કસ ઘરમાં રાખેલી બચત બેંકમાં જમા કરાવી દેવી પડી તેમજ થોડા દિવસ માટે સમગ્ર ઘરનું અર્થતંત્ર ખરાબ થઈ ગયું એ હકીકત છે પરંતુ વિચારો કે આ દેશ માટે સારું હતું કે નહિ? જો મોદી ને ફક્ત પોતાનો કે પોતાના પક્ષનો જ ફાયદો જોવો હોત તો આવો નિર્ણય શુ કામ લે? ઉલ્ટા તેઓ પોતે ભ્રષ્ટાચાર કરવા લાગતે કે પોતાના પક્ષ માટે કાળું નાણું ભંડોળ તરીકે એકઠું કરી શકે એમ હતા. તેમણે વેપારી - ઉદ્યોગપતિ કે જેઓ કાળા નાણાંનો ખેલ કરતા હતા તેના પર જ ઘા કર્યો છે જે લાંબે ગાળે દેશ અને દેશ ની પ્રજાને લાભકારી થશે. અને ગરીબ લોકોને ગેસ ના બાટલા પહોંચાડી ને ફાયદો કરી પણ રહ્યા છે.
બીજું જીએસટી -
જીએસટી એ દેશ ના વેપાર - ઉદ્યોગ માટે ખુબ જ જરૂરી કદમ હતું. આમ તો આ કાયદો ઘણા વારસો પહેલા આવવો જોઈતો હતો પરંતુ રાજકીય પક્ષોની આડાઈ ને લીધે આટલા વારસો બાદ આવ્યો જેનો જશ અને અપજશ બંને મોદીને મળી રહ્યા છે. શાંતિથી અને પોતાની લોભવૃત્તિને બાજુએ મૂકીને વિચારો તો આ કાયદો દેશ માટે કેટલો ફાયદાકારક છે તે જરૂર થી સમજાશે.
હમણાં જ ગુજરાતના એક સંતે કહ્યું હતું કે મોદી ની રાષ્ટ્રભક્તિ સામે આંગળી ચીંધી શકાય એમ નથી અને ૩ વરસમાં એક પણ ભ્રષ્ટાચારનો કેસ નથી. શુ આ દેશમાં આ નાની-સુની વાત છે? પાછલી સરકાર અને પાછળ વારસો નો વિચાર કરો તો વાત સમજાશે.
રહી વાત જીએસટી થી ગુજરાતના વેપારીઓની નારાજગીની - તો મેં પહેલા કહ્યું તેમ ગુજરાત માં ત્રણ બિઝનેસ મુખ્ય છે. ૧) રીયલ એસ્ટેટ - જમીન/મકાન, ૨) ડાયમંડ અને ૩) ટેક્સટાઇલ અને આ ત્રણેય નો વિશેષ ફેલાવો સુરતમાં છે કારણ કે સુરત એ ગુજરાતની આર્થિક રાજધાની છે તેમજ દેશની મુંબઈ પછીની બીજી આર્થિક તાકાત પણ કહી શકાય.
હવે મુદ્દાની વાત આ ત્રણેય ધંધા કાળાનાણાંના મુખ્ય સ્તોત્ર પણ છે, ખાસ કરીને રીયલ એસ્ટેટ અને ટેક્સટાઇલ. એટલે નોટબંદી અને જીએસટીની સૌથી વધુ અસર આ જ ક્ષેત્રને થવાની એ સ્વાભાવિક છે. હું ૨૫ વરસથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ/ધંધા સાથે સંકળાયેલો છું જ્યાં કાળાનાણાંનું પ્રમાણ ૫૦ થી ૬૦% સુધી હોય છે અને આ વાત જગજાહેર છે. નોટબંદી/જીએસટી ને કારણે આ સમગ્ર વાત ઉઘાડી પડી જાય એમ છે એટલા માટે જ આટલો વિરોધ કે આટલી નારાજગી છે. બાકી જો વેપારીઓને એટલી ધરપત આપવામાં આવે કે પહેલા જે કઈ પણ કર્યું એ માફ તો કોઈ ને કઈ પ્રોબ્લેમ જ નથી પરંતુ આ મામલે સરકાર અને ખાસ કરીને અરુણ જેટલી પર વિશ્વાસ નથી એ પણ સત્ય હકીકત છે. બીજું સરકારે વધુ ને વધુ ઓફિસરો ને મોકલીને વેપારીઓને જીએસટી ની અસર અને ફાયદા ની સમજણ આપવાની જરૂર હતી તેની સામે સરકાર અને સરકારી તંત્રો વધુ પડતા અહં માં રહ્યા છે. જે દુઃખદ છે.
આ કાળાનાણાં માટે વેપારી ઉપરાંત જેમનો આધાર જ કાળાનાણાં પર હતો તેવા રાજકીય પક્ષો, સરકારી બાબુઓ ને માટે અસ્તિત્વ ટકાવાનો સવાલ ઉભો થયો છે. એટલે તેઓ પણ સરકાર ને કે મોદી ને બદનામ કરવાની કોઈ કસર બાકી રાખતા નથી કે તક જવા દેવા માંગતા નથી. ગુજરાતની ચૂંટણી આ તત્વો માટે છેલ્લી તક છે. જો આ ચૂંટણી માં મોદી એટલે કે ભાજપ જીતી જાય તો આવા તત્વો ને માટે ભવિષ્ય માં જીવવું પણ ભારે પડે એમ છે.
મોદી દેશ માટે તેમજ દેશની જનતા માટે હિતકારક આવા વધુ ને વધુ નિર્ણય લઇ શકે, જેનો ફાયદો છેવટે આપણને કે આપણા સંતાનો ને જ થવાનો છે. એવું કરવું હોઈ તો આ ચૂંટણી/ઇલેકશન માં એક થઈ ને ભાજપ ને મોદીના નામ પર મત આપીને આવા તત્વો ને જોરદાર જવાબ આપવાની અગ્નિપરીક્ષા ગુજરાતના દરેક સમાજના લોકોએ પાસ કરવાની છે.

ત્રણ નેતા - ત્રણ સચ્ચાઈ

૧ હાર્દિક પટેલ
આનંદીબેન પટેલ ની ભૂલ ને લીધે નેતા બની ગયેલ હાર્દિક પટેલ માટે પાટીદાર સમાજે જ હવે સજાગ રહેવું પડશે કારણકે છેવટે તે રાહુલ ગાંધી ના જ શરણમાં પહુંચી ગયો છે જે કોંગ્રેસ ના શાસનમાં પાટીદારો એ જ ખેડૂત કે વેપારી કે ઉદ્યોગપતિ બની ને ખુબ જ ભોગવ્યું હતું. નરેન્દ્ર મોદી અને ભાજપ એ પાટીદારોના માન-સન્માનમાં વધારો કર્યો જ છે એ બાબતે બેમત ના હોઈ શકે.

૨ અલ્પેશ ઠાકોર -
ઠાકોર સમાજ નો આ યુવાન નેતા પણ છેવટે કોંગ્રેસ નો હાથો બની ગયો કારણકે ચૂંટણી પહેલાના કેટલાક લાભો અને પછી ની કેટલીક તકો એ વ્યક્તિગત મહત્વાકાંક્ષા નું રૂપ ધારણ કર્યું છે. ઠાકોર સમાજ પણ પોતે જ વિચારે કે ગુજરાતમાં છેલ્લા ૨૨ વરસના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એવી તો શુ તકલીફ પડી છે કે એવું તો શું નુકસાન ઠાકોર સમાજને થયું છે કે એમણે કોંગ્રેસ નો હાથ પકડવાની જરૂર છે? શું ઠાકોર સમાજ વધુ સમૃદ્ધ અને વધુ તાકાતવાળો નથી બન્યો છેલ્લા વર્ષોમાં? શું ઠાકોર સમાજ પણ રાજ્યહીત કે દેશહિત કરતા તકસાધુને વધુ મહત્વ આપશે?

૩ જીગ્નેશ મેવાણી -
છેક આઝાદીના સમયથી દલિત ને દલિત ના નામ પર છેતરી રહેલા પક્ષો ને દલિતો જ સારી રીતે સમજી ગયા છે અને ખાસ કરીને ગુજરાતના દલિતો. એટલે હવે કોંગ્રેસ કે અન્ય કોઈપણ પક્ષ સીધી રીતે દલિતોના મત મેળવી શકે એમ નથી એટલે આવા બની બેઠેલા દલિતોના હામી બનવાના ઢોંગ કે નાટક કરતા પક્ષ કોંગ્રેસ ને રાહુલ ગાંધી ના નામ પર કોઈ દલિત મત મળી શકે એમ ન હોવાથી જીગ્નેશ મેવાણી ને મોટાભા બનાવવામાં આવ્યો છે.
બાકી ચૂંટણી ના હોત તો હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી કે અલ્પેશ ઠાકોર ને કોંગ્રેસ કે રાહુલ ગાંધી મહત્વ આપતે ખરા?

ગુજરાત ઇલેકશન ની સૌથી મોટી, મહત્વની અને અજાયબ વાત - કોંગ્રેસ રાજ્ય ની મુસ્લિમપ્રજા કે જેનો અત્યાર સુધી મત તરીકે જ ઉપયોગ કર્યો છે તેમનો પણ ભાવ પૂછતી નથી. ફક્ત અત્યારે પાટીદાર પર જ ધ્યાન કેન્દ્રિત છે. આના પરથી જ બધા સમાજે સમજી લેવાની જરૂર છે.       NAMAN MUNSHI – 27-10-17

Comments

Popular posts from this blog

Being Prime Minister - Rajiv Gandhi - Congress

Being Prime Minister of India - Indira Gandhi - Congress

Being Prime Minister of India - V P SINGH & I K GUJRAL